૧લી ફેબ્રુઆરી ૧૭
– વડોદરા
-
દીપ્તિ વચ્છરાજાનીના ઘરે પ્રથમ
વારતા
શિબિર.
તા. ૦૧
ફેબ્રુઆરી, ૨૦૧૭ ને
બુધવાર, વસંતપંચમીના રોજ
મુંબઈ ગ્રૂપ 'વારતા રે વારતા' ફોરમની પહેલી બેઠક વડોદરા ખાતે કવિ
દંપતી શ્રી કૌરેશ વચ્છરાજાની અને
દીપ્તિ વચ્છરાજાનીના નિવાસસ્થાને યોજાઈ. શિબિરના મુખ્ય સૂત્રધાર મુંબઈના રાજુ પટેલ હતા.
તેમની સાથે મુંબઈના વારતાકાર-કવયિત્રી રાજુલ ભાનુશાલી પણ
જોડાયાં હતાં.
જેમને વારતા લખવાનો બિલકુલ જ
અનુભવ ન હોય
એવા સભ્યોની સાથે વારતા ની પ્રતિયોગિતામાં ભાગ લઈ
ઈનામ મેળવી ચૂકેલા સભ્યો પણ
શિબિરમાં હતા. વધારે સંખ્યામાં નવોદિત હાજર રહ્યા હતા. અમે
સૌ આ શિબિર માટે ઉત્સુક હતા.
બ્રિજેશ
અમારા વડોદરાના સાહિત્ય વર્તુળનો ઉત્સાહી અને સક્રિય સભ્ય. હું છેલ્લા થોડા વખતથી ગઝલ
લખું છું એટલે બ્રિજેશને મળવાનું અવારનવાર થાય. એકવાર તેણે વાત
કરી કે મારી વારતા મમતા મેગેઝીનમાં છપાણી છે અને
મેં મુંબઈમાં વારતા શિબિરમાં ભાગ
લીધો હતો. આ
સાંભળીને જ મનમાં ઉંડે ઉંડે વસવસો થયો કે
આપણને તો વડોદરામાં આવો લાભ
ક્યાંથી મળે?
અચાનક જ એક દિવસ તેણે વાત
કરી કે મુંબઈથી રાજુ પટેલ બે દિવસ માટે વડોદરા આવવાના છે
તો જો
આપણે વારતા શિબિર કરવાનું વિચારીએ તો તમને રસ છે
ખરો? તેનું આમ કહેવું અને
મનમાં વર્ષોથી રમતી વારતા લખવાની ઈચ્છાએ ઘડીના પણ વિલંબ વિના તેની મરજી દર્શાવી. સાહિત્યના આ પ્રકારને બાથે મળવાનું સ્વપ્ન તેના પગરણ માંડી ટકોરા દઈ મને
સાદ પાડે છે
એમ મને લાગ્યું. મેં તરત
જ તેનો પ્રસ્તાવ સ્વીકારી કહ્યું કે
શબ્દના સાધક મારે ઘરઆંગણે ભેગા થાય એનાથી રૂડું શું ? હું
રાજુ કે રાજુલને ન્હોતી જાણતી પણ
મારા માટે તે
અગત્યનું ન્હોતું. ઉત્સુકતા ઘણી જ હતી
કે પહેલા આવી
કોઇ શિબિર વડોદરામાં થઈ હોવાનું સાંભળ્યું નથી
અને રાજુ નામની એક વ્યક્તિ આ શરૂઆત માટે નિમિત્ત બને છે
એનો આનંદ હતો.
મુદ્દો : ૧
શિબિરના પ્રથમ તબક્કામાં વારતા એટલે શું? વારતા ની જરૂરિયાત કેમ
ઊભી થઈ અને
વારતા નો પ્રસાર કેવી રીતે થયો
એ મુદ્દો સૂત્રધારે હાથ પર
લીધો. સૂત્રધારે કહ્યું કે પૌરાણિક સમયથી વારતા નું ચલણ તો
હતું જ, પણ
તેનું સ્વરૂપ ધર્મબોધના નામે કહેવાયેલી કથાનું હતું, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની અત્યંત જાણીતી પંક્તિ : ‘આપણી વ્યથા, અવર ને મન રસની કથા.’ કહી
સૂત્રધારે ઉત્સુકતા એ
જ વારતા નું મૂળ
છે એ વાત
ભારપૂર્વક કહી. તેમણે કહ્યું કે
સમાચારો સાથે રસપૂર્વકનું મનોરંજન પીરસવાના વિચારે આધુનિક વારતા નો ઉદભવ થયો અને
કથાની નિષ્પતિ માટે વારતા નું બંધારણ ઘડાયું. આપણે આધુનિક વારતા ના પિતામહ (પાયોનીયર ) કહી શકીએ એ
વારતાકાર ઓ. હેનરીએ આ જરૂરિયાત સમજી અને
પરિણામે વારતા
નો જન્મ થયો. સમાચારોની સાથે સાથે વારતા નો આ
રીતે પ્રસાર થયો.
મુદ્દો : ૨
સૂત્રધારે કહ્યું કે કોઈપણ કળાનું જનક
નિશંકપણે આપણું મન
છે પણ હા,
કળાના નિયમો છે.
એમણે કહ્યું કે
વારતા ના નિયમ ક્રિસ્ટલ ક્લીયર નથી; પણ
છે ખરા. વારતા કવિતા કરતાં અઘરી છે કારણ. કવિતા એ
કવિની ડાયરીનું અંગત પાનું છે.
કવિ ચોખવટ કરીને કહેવું હોય
તો કહે અથવા ન પણ
કહે, જ્યારે વારતા કારે ચોખવટ કરવી જ પડે.
વારતા વાચકના મન સુધી પહોંચવી જરૂરી છે. સાહિત્ય અને જીવનમાં કવિતાને એવો
અદભૂત દરજ્જો મળ્યો છે કે
તે તો પ્રેમિકા જેવી છે.
બંધાયેલી નથી. કવિતા તમારા હૃદય પર આઘાત કરે અને
વારતા હંમેશાં તમારા વિચારો પર આઘાત કરે. અગત્યની બાબત એ
છે કે વારતા સમજાવી જ જોઈએ. સૂત્રધારે સભ્યોને કહ્યું કે
તમારે વારતા
લખતાં શીખવી હોય તો
સૌથી પહેલાં તમને વારતા વાંચતા આવડવી જરૂરી છે,
જો વાંચતા આવડશે તો તમને લખતાં પણ
આવડશે. તેમણે કહ્યું કે
૭૦ના દાયકા સુધી લેખકો/વારતાકારો આ બાબતે ઘણા જ
પ્રતિબદ્ધ હતા કે
જે કહેવાયું હોય
અને ઉલ્લેખ વિના વંચાતું હોય
તે ખરેખરી વારતા. "સુકેતુએ સ્કુટરને કીક મારી અને સંધ્યાએ ડુસ્કું મૂક્યું.."જેવા ચવાયેલા સંદર્ભો વાળી વારતા આજકાલ છપાય અને એવી વારતાઓને કારણે વારતાનું મહત્વ જ
ઘટી ગયું.
‘વારતા વાંચતાં આવડવું એટલે શું?’ એ
સમજવા તેમણે શ્રી મધુ રાય સંપાદિત અગ્રેસર વારતામાસિક 'મમતા'ના એક જૂના અંકમાં છપાયેલી એક વારતા વાંચી સંભળાવી.
ફર્નાન્દો સોરેન્તિનોની વારતા --- એક માણસને મારા માથા પર છત્રી મારવાની કુટેવ છે --અનુવાદ : બાબુ સુથાર
વારતા માં એક
માણસને (નાયકને) બીજો માણસ સતત
છત્રી મારતો રહે
છે. એનું આ
છત્રી મારવાનું એટલું વધતું જાય
છે કે રસ્તે ચાલતાં, ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં તેને છત્રીના ગોદા સતત વાગ્યા કરે છે.
મુસાફરી કરતાં બસમાં પણ તે
અનુભવે છે કે
તેને સતત છત્રી મારવાના લીધે પોતાને હાસ્યસ્પદ સ્થિતિમાં મૂકાવું પડે છે.
એક સીમા પછી
ધીરજ ખૂટતાં તે
સામો ગોદો મારી લે છે,
ગોળીએ દઈ દેવાનું વિચારે છે
પણ કરી શકતો નથી, તેને એ યોગ્ય પણ લાગતું નથી. રાતના સૂતી વખતે પણ તેનું છત્રી મારવાનું સતત ચાલુ રહે છે.
હવે એ આ
મારથી એટલો ટેવાઈ જાય છે
કે છત્રી નહીં મારવામાં આવે
તો? અને એ
તેને છોડીને ચાલ્યો જશે તો?
એ વિચારે જ
તે અસલામતી અનુભવે છે.
સૂત્રધારે સભ્યોને પૂછ્યું કે
લેખક આમાં શું
કહેવા માગે છે જણાવો.
અમુક સભ્યો એ સમજી શક્યાં કે
આ બીજો માણસ તે બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો અંતરઆત્મા છે, આંતરચેતના તરફ સ્વની યાત્રા. જૈમિનને લાગ્યું
કે અહીં છત્રી મારનાર સમયનું પ્રતિક છે, બ્રિજેશે કહ્યું કે
આ એક સશક્ત કલ્પન છે
પણ શેનું તે
મને સ્પષ્ટ નથી
થયું, સહુના મત
વ્યક્ત થઇ ગયા
બાદ સૂત્રધારે કહ્યું કે
તેમને એમ લાગે છે કે
વારતા
ના પહેલા તબક્કામાં નાયક ડરે છે
પછી તે તેનાથી ટેવાતો જાય
છે અને એટલું જ નહીં તેને આદત
પડી જાય છે.
આ આદતના પરિણામે એની ગેરહાજરીનો વિચાર પણ
તેને અકળાવે છે.
આપણી એટલી જાગૃતતા કે આપણો અંતરઆત્મા આપણને સતત
ટપારે અને એનું એ ટપારવું એ આપણા જીવનનો એક
અનિવાર્ય હિસ્સો બની
જાય.
સૂત્રધારે ફરી
રાજેન્દ્ર શુક્લને યાદ
કર્યા. તેમની એક પંક્તિ કહી: ‘મનને ન
સમજાવો, એ સમજતું હોય છે.’
સાથે સાથે ગાંધીજીને પણ યાદ
કર્યા; ગાંધીજી કહેતા કે
તમે જ્યારે જુઠું બોલો છો
ત્યારે બીજા કરતાં પોતાની જાતને પહેલાં છેતરો છો, જાતથી ક્યારેય ભાગી નથી શકાતું.
વિદેશી વારતા ની ચર્ચા પૂરી થયા
બાદ સૂત્રધારે ફરી
મૂળ મુદ્દા સાથે અનુસંધાન કરતાં કહ્યું કે
આપણે ત્યાં માણભટ્ટ એક પ્રજાતિ હતી કે
જેમાં કથાકાર રાતના વાળું બાદ ગામના ચોરે માટલા તાલબધ્ધ વગાડતા કથા કહેતાં અને એ
શ્રેણીના કથાકાર
કવિ પ્રેમાનંદ થઈ ગયા.
એમનાં આખ્યાનો એ
પણ કથા જ
હતી, ત્યાંથી શરૂ
કરી મધુરાયથી ચંદ્રકાન્ત બક્ષી અને
અત્યારે શરદ ઠાકર સુધીના વારતાકારોને ટાંકતાં તેમણે કહ્યું કે
૭૦ના દાયકા સુધી વારતાકારો ઘણા
જ નિષ્ઠાવાન અને
પ્રતિબદ્ધ હતા. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે
અત્યારે ગુજરાતી વારતા કમનસીબ દૌરમાં છે.
ઉદાહરણ તરીકે જેમ એક સારી ફિલ્મ ફ્લોપ જાય
ત્યારે નુકસાન થાય
એ કરતાં વધુ
નુકસાન એક વાહિયાત ફિલ્મ સફળ
થતાં થાય છે
કેમ કે ત્યાર બાદ વાહિયાત ફિલ્મો ને
જ વધુ નિર્માતા ટેકો આપે
છે તેમ જ છાપાં જે પ્રકારની વારતા છાપે છે
અને વાચકો એ
વાંચે ત્યારે આને
જ વારતા કહેવાય એવો
ગેરસમજ યુક્ત ધારો પડે છે,
અધૂરામાં પૂરું વરિષ્ઠ વારતાકારો વળી
શક્ય એટલું ખરાબ લખીને ખોટું ઉદાહરણ પૂરું પાડે છે.
સૂત્રધારના મતે
આદર્શ વારતા
કોને કહીશું :-
૧. કાં તો
સવાલોના જવાબ આપે,
અથવા
૨. નવા
સવાલ ઊભા કરે.
૩. જે
વારતા સમજવામાં મહેનત કરવી પડે. (અર્થાત ૨ +૨
= ૪ -- એટલી સામાન્ય વાત ન
હોય)
૪. વારતામાં ‘શું’
એ હંમેશાં ખબર
હોય પણ ‘કેવી રીતે’ હંમેશાં અગત્યનું બની
રહે છે. આ
‘કેવી રીતે’ કઈ
રીતે મૂકાય છે, આ
જ બાબત વારતા ની પકડ મજબૂત કરી શકે.
સૂત્રધારે સભ્યોને સલાહ આપતાં કહ્યું કે
પહેલાં વારતા
વાંચો, અજાણ્યા માણસને મળો
છો એમ માનીને કોઈ પણ
પૂર્વગ્રહ વિના વારતા ને મળો. મળો
ત્યારે તટસ્થભાવે મળો,
પક્ષપાતી થઈને નહીં. એ પહેલી શરત. બીજું મનની સપાટી પર લેખકના નામને ઉપર
રાખ્યા વગર (એટલે કે લેખકના નામને વારતા સાથે જોડ્યા વિના) વારતા ને મળજો. આ ઘણું જ જરૂરી છે. વારતાને વાચ્યાર્થમાં ન
લેવી. સૂત્રધારના મતે વાચ્યાર્થમાં કોઈ કળા
ન લેવી જોઈએ.
ત્યાર બાદ વારતાકળાને લગતા પ્રશ્નોનો રાઉન્ડ શરુ
થયો
શિલ્પા સોનીએ પૂછ્યું, ‘શું
વારતામાં સંવાદ જરૂરી છે?’
સૂત્રધારે કહ્યું કે ના
બિલકુલ નહીં. વારતા સંવાદવિહીન હોઈ શકે,
રસવિહીન નહીં. જે
કળા લોકભિમુખ નથી
તો કળા નથી.
સહુને રસ પડે, સહિતમાં લઈ
ચાલે તે જ સાહિત્ય.
અહીં રાજુલબેને વચ્ચે કુદી પડતાં કહ્યું કે આમ તો વારતા
ફલાણી રીતે જ લખવી જોઈએ? લખાવી જોઈએ કે ઢીંકણી રીતે જ હોવી જોઈએ એવા કોઈ ચોક્કસ નિયમો નથી પણ સામાન્ય અનુભવ એવો છે કે સંવાદો વાર્તાને વધુ જીવંત બનાવે છે. સંવાદો વગરની વાર્તા પણ અત્યંત જીવંત અને પ્રવાહિતાવાળી હોઈ જ શકે પણ ઘણીવાર એવું થાય કે ક્યાંક બોરિયત આવી જાય. વાચક કંટાળે પણ ખરો. સંવાદ સહિતની વાર્તા વાચકોને વધુ સરળતાથી જકડશે.
વિજયભાઈ પૂછ્યું, ‘શું વારતા માં નાટકીયતાને સ્થાન ખરું?’
સૂત્રધારે કહ્યું કે સંઘર્ષ જરૂરી છે. પછી સંઘર્ષ ઘણા પ્રકારનો હોઈ શકે. જેમકે, પાત્રનો પરિસ્થિતિ સાથેનો સંઘર્ષ અને
પાત્રનો જાત સાથેનો સંઘર્ષ. એમણે કહ્યું કે
સંઘર્ષના કેરેક્ટર એટલે કે પાત્ર નો કોઈ
નિયમ નથી,
પાત્ર કોઈ
પણ કે કંઈ
પણ હોઈ
શકે પણ સંઘર્ષ અનિવાર્ય છે. સંઘર્ષ એટલે જ
નાટ્ય. (અહીં નાટ્ય મંચનના અર્થમાં નહીં) અને
તેથી જ વારતામાં રસ જળવાઈ રહે છે
સૂત્રધારે હિન્દી વારતાકાર ગોવિંદ મિશ્રને યાદ કરતાં કહ્યું કે
એમને કોઈકે પૂછ્યું કે વારતા યુગ પૂરો થશે
કે કેમ? એના
જવાબમાં એમણે કહેલું કે “વારતા લખાતી રહેશે કેમ કે - આદમી નામકી ચીજ
કભી બાસી નહીં હોતી...”.
રાજુલબેને આ
જ મુદ્દાના અનુસંધાનમાં કહ્યું કે
આપણે આપણા રોજબરોજના જીવનમાં ડોકિયું કરીએ તો
ખ્યાલ આવશે કે
બીજા સમક્ષ વાત
રજૂ કરતાં તે
રસપ્રદ બની રહે
તે માટે કેટલીયે નાટકીયતા ઉમેરીએ છીએ. બસ,
રસ માટે આ
જ વસ્તુ જરૂરી છે. રસ
એ વારતાનું સહાયકારક પરિબળ છે.
બીજો મુદ્દો એ ચર્ચાયો કે વાક્યરચના સુવાચ્ય હોવી જોઈએ. બની
શકે કે વારતા એક
વાક્યની પણ હોય.
સૂત્રધારે કહ્યું કે
ગાબ્રિયલ ગાર્સિઆ માર્ક્વીઝ (કોલમ્બિયન લેખક) ની એક
વારતા એવી છે
જે છ
પાનાંની અને પૂર્ણવિરામ વિનાની, એક વાક્યની છે.
કોષા
એ પૂછ્યું, ‘વારતામાં કપોળકલ્પિત વારતા તત્વ હોવું તેનું વાસ્તવિકતા સાથે જોડાણ કેટલું હોવાનું?’
સૂત્રધારે કહ્યું કે કોઈપણ વારતા ક્યારેય કપોળકલ્પિત હોતી નથી.
કારણ આપણે એ
જ પ્રતિક્રિયા આપશું જે આપણે અનુભવ્યું છે.
કોઈપણ કળા પ્રતિક્રિયામાંથી આકાર પામે છે. દા.ત.
સ્પાઈડરમેન ફિલ્મ જેણે જોઈ હશે
એ જાણે છે
કે સ્પાઈડરમેન એક
કાલ્પનિક પાત્ર છે
પણ જ્યારે ફિલ્મમાં તેની કાર્યપ્રણાલિ અને કાર્યસિદ્ધિ જુએ છે
ત્યારે દરેકે દરેક જણ તેને પોતાની જાત
સાથે જોડે છે.
કોઈપણ કળાની સફળતાનું રહસ્ય આમાં જ છુપાયેલું છે. કળાની સફળતાનો આધાર વ્યક્તિએ અનુભવેલી તાદાત્મ્યતા પર
છે. રાજુલબેને કહ્યું કે કોઈપણ બનાવ સાથે વારતાની કાલ્પનિક ગૂંથણી થાય
છે.દરેક વારતા સૌપ્રથમ એક વિચારમાત્ર હોય છે. ક્યારેક એ વિચાર બાહ્ય જગતમાંથી પ્રાપ્ત થાય છે. કશુંક જોયા/અનુભવ્યા સાંભળ્યા પછી આને વાર્તામાં ઢાળી શકાય એવો વિચાર આવે. ક્યારેક આંતરજગતમાંથી આ વિચાર
પ્રાપ્ત થાય! પણ આપણે એ વિચારને એ જેમ મળ્યો/આવ્યો એ રીતે અઝ ઇટ ઇઝ કાગળ પર ઉતારી નાખીશું તો માત્ર એનથી એ વાર્તા નહિ બને. થોડીક કાલ્પનિકતા અને થોડીક વાસ્તવિકતા ઉમેરવી જ પડ્શે. વળી આ કલ્પનિકતા પણ મૂળે વાસ્તવિક જગતમાંથી જ મળતી હોય છે.
જૈમિને પૂછ્યું, ‘વારતા માં પાત્ર હોવું જરૂરી છે?”
સૂત્રધારે પ્રતિપ્રશ્ન કર્યો કે
સ્ટેજ વિના નાટક સંભવ ખરું? જરૂરી નથી
કે પાત્ર જીવંત હોય કે
નિર્જીવ, પણ પાત્ર હોવું જોઈએ. દા.ત.
ટેબલ પણ પાત્ર હોઈ
શકે, પણ તો
પછી વારતા
તેની આસપાસ ફરવી જોઈએ.
સૂત્રધારે કહ્યું કે કલાકારે વાચકના મન
સુધી પહોંચવાનું છે
અને એટલે જ
તેની જવાબદારી વધતી જાય છે.
તેણે ઉપદેશક બનવાનું છે પણ
વાચકને એ ઉપદેશ લસલસતા શીરાની જેમ ગળે
ઉતરવો જોઈએ. એ
તેની મીઠાશ અનુભવશે, ઉપદેશનો ભાર
નહીં. વાત ભલે
સોઈ ઝાટકીને કરો,
પણ સોઈ દેખાવી ન જોઈએ, પણ વાગવી જરૂર જોઈએ.
રાજુ નાગરે પૂછ્યું, ‘વારતાનાં સ્વરૂપો ટૂંકી વારતા , લઘુકથા, નવલિકા વગેરેમાંથી કયું હોવું જોઈએ?’
સૂત્રધારે કહ્યું કે સ્વરૂપ કે નિયમબદ્ધતા જરૂરી નથી. વાત
અગત્યની છે અને
જે સ્વરૂપમાં લખો
તે રોચક અને
રસપ્રદ હોવી જોઈએ.
ધ્રુવેશે પૂછ્યું, ‘શીર્ષક કેવું હોવું જોઈએ?’
સૂત્રધારે કહ્યું કે શીર્ષક નક્કી કરવા વાળા આપણે કોણ? તમારા મનમાં ઉદભવેલા એક વિચારથી વારતા આકાર લે
છે. એક જીવંત વિચારને પોતાનો લય ને
ધબકાર છે. તમે
પકડો એ વિચારની નાડ પછી
એ વાતો કરશે તમારી સાથે. યાદ રાખો કે પાત્ર તમારા થકી શબ્દદેહ પામે છે
પણ એ તમારી જાગીર નથી. વારતા તમારા બાલક જેવી છે કે જે તમારા લીધે નથી પણ તમારા થકી છે. તમે જે ઠોકી બેસાડો છો
એ તમે છો,
વારતાકારનું કામ એને
બહાર લઈ આવવાનું છે.
બાળકો સાથે મા-બાપના વર્તન બાબત ખલીલ જીબ્રાને એવી સલાહ આપેલી કે
તમે બાળકોના વાહક છો, માલિક નથી. આ વાત જ્યારે સુત્રધાર કરી રહ્યા હતા અને ધ્રુવેશ એ સમજવાની કોશિષ કરી રહ્યો એમ ડોકું હલાવી રહ્યો હતો. અચાનક રાજુલબેન વચ્ચે ટપકી પડ્યાં અને એમણે સુત્રધારને અટકાવીને કહ્યું કે એને તમારું આ લેક્ચર અઘરું પડી રહ્યું છે. સુત્રધારે ધુવેશને કહ્યું કે હું ફૂટપટ્ટી લઈને ઉભેલો સ્ટ્રીક્ટ ટીચર નથી કે તમે મને કહી ન શકો કે નથી સમજાતું. તમે કહી જ શકો. પછી એમણે થોડૂં વધુ સરળ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. સૂત્રધારે ઉદાહરણ આપતાં કહ્યું કે
એક ઘરમાં લગ્ન-પ્રસંગ છે,
એ ઘરમાં વરરાજા ઉપરાંત મા-બાપ,
ભાઈ-બહેન વગેરે રહે છે.
એ સૌની નવવધૂ (આવનારા પાત્ર) પાસે નોખી નોખી અપેક્ષા છે. પણ
નવવધૂ એ અપેક્ષાએ ખરી નથી
ઉતરી શકતી, ઉપરાંત એને કામ
પ્રત્યે રૂચિ નથી
અને કેળવવામાં રસ
પણ નથી. પરિણામે ઘરમાં કંકાસ. આવનારી વહુ
એક સ્વતંત્ર વ્યક્તિ છે. એની
પોતાની એક સમજ
છે. એનું પોતાનું એક ચેતાતંત્ર છે. ઘરમાં રહેતાં બીજાં પાત્રોએ તેની અપેક્ષા સમજી?
વારતા કારનું પાત્ર નવી આવનારી વહુ જેવું છે. યાદ
રાખો કે દરેક પાત્ર પોતાની સાથે પોતાનો સામાન લઈને આવે છે.
તમે તેને સાંભળો. તમારી સમજણ અને નૈતિકતાની ક્ષિતિજો વિસ્તારો. ધર્મગુરૂઓએ થોપેલી નૈતિકતાને અતિક્રમી આગળ વધો.
તમે તમારા પોતાના માપદંડો બનાવો. તમારી સંવેદનાથી તમારી પોતાની આચારસંહિતા બનાવો. દા.ત.
અશ્ર્લીલતાને તમે કઈ
રીતે પ્રયોજો છો
એના પર અશ્ર્લીલતાનો ઘણો આધાર છે, બળાત્કારને તમે કઈ
રીતે મૂકશો એ
સમજવું જરૂરી છે.
તમે વારતાકાર તરીકે પાત્રને સમજો, સાંભળો, આગળ વધીને તેની સાથે વાત કરો,
એક ભદ્ર પિતા સંતાન સાથે વાત કરે
તેમ. એક વાત
હંમેશા યાદ રાખો કે તમારા પાત્ર પરના વર્ચસ્વને કારણે પાત્ર તમારા હાથમાંથી ગયું સમજો. મહેરબાની કરી તેને સાંભળો.
જેમ સૃષ્ટિમાં
ઇશ્વર ક્યાંય
દેખાતા નથી
પણ તેમણે સૃષ્ટિનું સર્જન કર્યુ છે એમાં લેખક વારતામાં ક્યાંય દેખાવો ન જોઈએ. વારતા પોતાની સાથે પોતાનું શીર્ષક લઈને આવશે.
વિજયભાઈએ પૂછ્યું, ‘પાત્રના નિયંત્રણ સાથે લોકાભિમુખતા રહેશે ખરી?
’
સૂત્રધારે કહ્યું લોકોનો રસ
જાળવવો હોય તો
તમારી અભિવ્યક્તિ પ્રામાણિક અને ચોટદાર હોવી જોઈએ. તેની અસરકારતા તો જ
જોવા મળશે. તેમણે ફિલ્મ સર્જક મહેશ ભટ્ટનું ઉદાહરણ આપતાં કહ્યું કે
એક ઇન્ટરવ્યુમાં મહેશ ભટ્ટે કહ્યું કે મેં
સારાંશ પહેલાં ચાર
ફિલ્મો બનાવી. લહૂ
કે દો રંગ,
વિશ્વાસઘાત અને બીજી બે. ચારેચાર નિષ્ફળ નીવડી. એ ચારેચાર ફિલ્મો લોકોને શું
ગમશે એ વિચારીને મેં બનાવી હતી પણ
પછી થયું કે
બહુ થયું હું
મને ગમતું બનાવીશ... ને મેં
સારાંશ બનાવી... એવું વિચારીને કે કોઈને નહિ તો કમ સે કમ મને એકને તો ગમશે! ને
મારા હાથમાં સફળતાની ચાવી આવી
ગઈ. કે તમને તમારી કૃતિ ગમશે તો જ શક્ય છે કે બીજાને પણ ગમે. તમારો માપદંડ એ હોવો જોઈએ કે તમે
તમારું પોતાનું રંજન કરો પછી
લોકો સમક્ષ મૂકો. લોકોને ગમશે જ.
જૈમિને પૂછ્યું, ‘કળાનું મુખ્ય ઘટક – લોકોની અપેક્ષા હોય
કે કંઈક નવું – એ વારતા તત્વ, તેનો કાચો માલ ક્યાંથી લાવવો?’
સૂત્રધારે કહ્યું એ આપણે પોતે નક્કી કરીએ છીએ.
આપણને ગમે તે
એક વાત થઈ. બીજું કાચો માલ
મેળવવા દ્રષ્ટિ કેળવો, પછી તે
ખિસ્સામાંથીય મળી શકે
અને ગટરમાંથીય મળી
શકે. દા.ત.
મહાભારતમાં ભીષ્મ કૃષ્ણને પૂછે છે
કે હસ્તિનાપુરમાં સજ્જન કેટલા ને
દુર્જન કેટલા? કૃષ્ણએ દુર્યોધનને બોલાવ્યો, તેમણે તેને ૨૪ કલાક આપ્યા ને
કહ્યું કે મને
હસ્તિનાપુર સજ્જનોની યાદી લાવી આપ.
એ જ પ્રમાણે કૃષ્ણએ યુધિષ્ઠિરને બોલાવી દુર્જનની યાદી આપવા કહ્યું. ૨૪
કલાક પછી દુર્યોધને કહ્યું, ‘સજ્જન માણસો છે
જ નહીં’. યુધિષ્ઠિરે કહ્યું, ‘દુર્જન માણસો ન
મળ્યા.’ આ એક
દ્રષ્ટિની વાત થઈ,
જે તમારે વારતા લેખનમાં કેળવવાની છે.
આ ચર્ચા પછી
શિબિરમાં વિરામ પડ્યો. વિરામ બાદ
એક લાઈવ ટાસ્ક રમ્યા.
આ ટાસ્કમાં સભ્યોએ બેની જોડીમાં વહેંચાવાનું હતું. વિવિધ મુદ્દા પર
એક જણ સવાલ પૂછે જેનો બીજો જવાબ આપે, આ રમત
શરુ થયા અગાઉ સહુના સવાલ જવાબના મુદ્દા જાહેર કરવામાં આવ્યા- કોણ
કોને શું પૂછશે અને આખરે ત્રણચાર
સંવાદ બાદ શું
જવાબ મળશે તેની બાકી સહુ
સભ્યોને પણ ખબર
હતી, સવાલ- જવાબના મુદ્દા રોજ-
બરોજના હતા - જેવા કે -
- મોટાભાઈ માટે છોકરી જોવા ગયા,
ગમી કે નહીં?
- ઈન્ટરવ્યુંનું પરિણામ આજે
હતું, નોકરી મળી
કે નહીં?
- પ્રેમપત્ર મળી
ગયો તો જવાબ હકારમાં છે
કે નકારમાં?
સવાલ પૂછાયા પછી ચોથા વાક્યે તમને સાચો જવાબ મળે, તે
પહેલાના ત્રણ વાક્યોમાં તમારે સંવાદને તમારી રીતે આગળ વધારીને જવાબ પર
પહોંચવાનું હતું. આ
સભ્યોને આપેલા ટાસ્કનો પહેલો ભાગ
હતો. હવે બીજા ભાગમાં જોડીની ભૂમિકા બદલવામાં આવી પહેલાં જેણે જવાબ આપ્યો હોય એ
હવે સવાલ પૂછશે અને
જવાબ અગાઉ હતો
એ ન પણ
હોય .. હવે કોઈ
ને પણ અહીં જવાબની નથી
ખબર – અહીં પણ
ચોથા સંવાદમાં જ
ખબર પડે છે.
આ ટાસ્કની ભજવણી નાટ્યાત્મક રીતે થઇ, બે
બે જણ ઉભા
થઇ પોતાનો પાઠ
સહુ સામે ભજવતા ગયા. સભ્યોને જરૂર પડી
ત્યાં સૂત્રધારના માર્ગદર્શન હેઠળ આગળ
વધ્યા. બધાંને આ
ટાસ્કમાં ખૂબ જ
મજા આવી.
આ
ટાસ્ક કેમ એ
સ્પષ્ટ કરતાં સૂત્રધારે કહ્યું કે
યાદ રાખો કે
લેખકે એક તંગદોરી પર ચાલવાનું છે. બધું જાણો છો
તથા નથી જાણતા. લેખક તરીકે તમે તમારા પાત્રની ક્રિયા જાણો છો
પણ લખતી વખતે તમારે એ
રીતે લખવાનું છે
જાણે તમને નથી ખબર. જે વારતા તમે
જાણો છો છતાં નથી જાણતા તો તમે
તે સંકેતો કઈ
રીતે ઉકેલશો અથવા જાણવા ને
ન જાણવા વચ્ચેનો સેતુ તમે
કઈ રીતે ઊભો
કરો છો તેના પર તમારા કથનની સફળતાનો આધાર છે
અને તેમાંથી તમારી સંતુલન જાળવવાની ક્ષમતા બહાર આવશે.
વારતા લેખનમાં બે
જ તત્વ હોય છે : જરૂરી કે બિનજરૂરી. પાત્ર ગાળ
બોલે છે એ
જરૂરી હોય તે
ઠીક છે. તમને તમારી મૌલિકતા મેળવી આપવાનું સામર્થ્ય ફક્ત કળા પાસે જ છે.
શિબિરના અંતિમ ચરણમાં રાજુલબેને એક રાજાની વારતા કહી, જેમાં રાજા કારીગરને આજ્ઞા કરે
છે કે મારા માટે એવાં વસ્ત્રો બનાવ કે જોતાં જ લોકો મોંમાં આંગળા નાખી દે
અને જો તું
એમાં સફળ નહીં નીવડે તો
હું તારું ડોકું ઉડાવી દઇશ.
હું તને મહિનાનો સમય આપું છું. મહિના પછી કારીગર આવ્યો. તેણે પોતાનો ટ્રંક ખોલી વસ્ત્ર બહાર કાઢી કહ્યું, ‘જુઓ
કેવું સરસ છે!
જેણે ખૂબ જ
પુણ્ય કર્યા હશે
તેને જ આ
વસ્ત્ર દેખાશે ! (વાસ્તવમાં વસ્ત્ર હતું જ નહીં) હવે કોણ
સાચી વાત કહે
! કહે તો પોતે પાપીમાં ખપી જાય.બધાંએ ખૂબ વખાણ કર્યા. કારીગરે રાજાને નવું વસ્ત્ર પહેરાવ્યું અને રાજાની સવારી નીકળી. બધાં જ
વાહ વાહ કરે. એક બાળકે રાજાને જોયો. અને એ તાળીઓ પાડતાં બોલી ઉઠ્યો રાજા નંગુ, રાજા નંગુ. બસ
આપણે અહીં બાળક નથી પણ
આપણે એ બાળક બનવાનું છે. એ
બાળક સમાન નિર્ભીકતાના અર્થમાં.
સાંજે શિબિર પૂરી
થઈ ત્યારે હાજર સૌ સભ્યોના મનમાં એક જ સવાલ હતો, ફરી ક્યારે મળશું? સર્જક તરીકે મને લાગ્યું કે મેં મારી પ્રથમ વારતા
તરફ એક ડગ ભર્યું છે. આનું
કારણ એ કે રાજુએ જે છણાવટથી વારતાલેખનનાં પાસાં પ્રસ્તુત કર્યાં તેમાં ક્રમે
ક્રમે અમારી સૌની જિજ્ઞાસા સંતોષાતી ગઇ. ખાસ તો લેખક તરીકે તમે તમારાં પાત્રોને સાંભળો અને તેનું
વ્યક્તિત્વ આપમેળે ઘડાવાની વાત મને અત્યંત રોમાંચિત કરી ગઇ. જન્મ તમે આપો છો પણ
તેના વિકાસમાં તમે બાધક નથી બનતા એ વિચાર જ ખૂબ સ્પર્શી ગયો. અમે સૌ
બીજીવાર મળવાની ઉત્કંઠા લઈ પોતપોતાની વારતાના પાત્રોને મળવા છૂટાં પડ્યાં.
વડોદરા ખાતેની પ્રથમ
શિબિરની આ
એક યથા સ્મૃતિ ઝલક છે,
ઉપસ્થિત અન્ય સભ્ય ખૂટતી વાતો ટીપ્પણીમાં કે
સ્વતંત્ર પોસ્ટમાં કહે એવો
આગ્રહ અને પ્રતીક્ષા.
~~ દીપ્તિ
વચ્છરાજાની તા.
૦૩/૦૨/૨૦૧૭
saras ahevaal. dipti, lkhta raho ane vartao forum ma share karta raho.
ReplyDeleteજલસા...જલસા...બહુ જ સુંદર અહેવાલ.અભિનંદન દિપ્તીઆંટી.અહેવાલ લખવાથી વાર્તા સારી લખાય છે.કારણકે એમાં વર્ણન જરૂરી હોય છે જે વાર્તામાં ય. વાહ વાહ...મજા આવી. લાગયું કે એ દિવસ પાછો જીવી લીધો.
ReplyDelete