Wednesday 25 October 2017

વાર્તા શિબિર [અધ્યાય ૨] - શિબિર ૨ (સપ્ટેમ્બર ૨૦૧૭), ગોરેગાંવ પૂર્વ

'વારતા રે વારતા' સીઝન બે - શિબિર બે - ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ - પ્રતિભા શર્માના ઘરે

અપ્રતિમ ઉત્સાહ સાથે શરુ થયેલી 'વારતા રે વારતા'ની બીજી શ્રેણીની બીજી બેઠક રવિવાર તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ સુત્રધાર રાજૂ પટેલના પાડોશી પ્રતિભા શર્માના ઘરે યોજાઈ. શિબિરના નિયમિત સભ્યો માટે પ્રતિભા શર્માનું નામ અજાણ્યું નહિ હોય. અગાઉ તેઓ બે-ત્રણ વખત શિબિરમાં પણ આવ્યા હતા પરંતુ ગુજરાતી પુરેપૂરી ન સમજવાને કારણે પછીથી ન આવી શક્યા. છતાં આ પ્રવૃત્તિ માટે તેમનો પ્રેમ એવો કે આ વખતની બેઠક માટે રાજૂના કહેવા પર ઘરની ચાવી આપીને પોતે બહાર ચાલ્યા ગયા હતા. હું (તુમુલ) અને નીરજ (કંસારા) સૌથી પહેલા પહોચીને તેમના ડ્રોઈંગ રૂમમાં એક ખૂણો પકડીને બેસી ગયા અને પછી જેમ જેમ લોકો આવતા ગયા તેમ રૂમ ભરાતો ચાલ્યો. અંતે જ્યારે મીના ત્રિવેદી એકાદ કલાક પછી આવ્યા ત્યારે રૂમ હકડેઠાઠ ભરાઈ ચુક્યો હતો અને આ વખતની બેઠક કદાચ સૌથી બધારે હાજરીવળી બેઠકોમાંની એક રહી. આ વખતે વિશેષ ઉપસ્થિતિ ભુજથી આવેલ કવિમિત્ર જીગર ફરાદીવાલાની હતી. જીગર કવિ સંમેલન માટે આવ્યા હતા અને અમે મોકો જોઇને એના મુંબઈનિવાસ દરમિયાન જ શિબિર યોજી દીધી જેથી એની સંગતનો અમને આનંદ મળે.



શિબિર સાથે સંલગ્ન સર્વે મિત્રો જાણે છે તેમ વારતા રે વારતાની (અ)દ્વિતીય શ્રેણી માટે વાર્તાકળાને લગતા દસ સર્વગ્રાહી વિષયો નક્કી કરવામાં આવ્યા છે. આ વિષયો પર પરિસંવાદ અને ચર્ચા-વિચારણા કર્યા પછી વાર્તાકળાને લગતો એકેય મુદ્દો અણસ્પર્શ્યો રહી ન જાય એવા વિચાર સાથે આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંતર્ગત વિષય ક્રમાંક ૨, "વાંચવું" પર આ શિબિરમાં ચર્ચા કરવામાં આવી.

ઓપનીંગ લાઈન
- "(લખવા માટે) વાંચવું એ ઓપરેટીવ ફેક્ટર છે. ચાહે એ કવિતા હોય, વાર્તા હોય, નાટકની સ્ક્રીપ્ટ હોય કે પછી માણસ હોય". ખેર, માણસને વાંચવો એ, કમસેકમ શરૂમાં તો બહુ જ એબ્સ્ટ્રેક્ટ કામ થઇ પડે એટલે બે કૃતિઓના પઠનથી શરૂઆત કરવામાં આવી.

કૃતિ ૧ - હિન્દી પત્રકાર અને કવિ લોકમિત્ર ગૌતમની અદભૂત અછાંદસ કવિતા "મેરા બચ્ચા હર રોજ મુઝસે બંદૂક માંગતા હૈ" નું નીરજના બુલંદ અવાજમાં પઠન. 

લગભગ પાંચ પાના લાંબી આ કવિતા મારા જેવા કાવ્ય-અભણ વ્યક્તિને પણ પુરેપુરી બાઉન્સર તો ન ગઈ. પરંતુ તેની "બારીકીઓ સમજવા માટે ચા પીવી પડશે", એવું પરાગ ગ્યાનીનું વિધાન કવિતાએ રચેલો ગંભીર માહોલ હળવો કરી ગયું. સદનસીબે બાજુમાં રાજુના રસોડામાંથી તેની પ્રખ્યાત વીસ મિનીટ ઉકાળવાવાળી રેસીપી મુજબની ચાની ખુશ્બુ રેલાઈ રહી હતી. અત્યાર સુધી આવી ચુકેલા અન્ય સભ્યો સમીરા પત્રાવાલા, સંજય ગુંદલાવકર, કિશોર પટેલ અને નેહા શાહે કવિતા વિશેના પોતપોતાના અવલોકનો જણાવ્યા. એ બધાનો એક સૂર એવો નીકળતો હતો કે આ કવિતા બાળઉછેર વિશેની છે. પરંતુ કદાચ બધાના જ મનમાં એમ હતું કે કવિતામાં હજુ કંઇક છે જે ફરી સાંભળવાથી કે વાંચવાથી પકડી શકાશે. સરસ મજાની ચા આવી ત્યાં સુધીમાં રાજુલ ભાનુશાળી, કુસુમ પટેલ અને જીગર ફરાદીવાલા પણ આવી ચુક્યા હતા.

 તેમની માટે પહેલી વાર અને બાકીના માટે બીજી વખત પરાગ ગ્યાનીના પહાડી અવાજમાં કવિતાનું પુન:પઠન કરવામાં આવ્યું. પ્રથમ વખતની ચર્ચામાં છૂટી ગયેલી અનેક બાબતો આ વખતે પ્રકાશમાં આવી. જેમ કે, બાળકને નાનપણથી જ તેની જેન્ડર મુજબ જે રીતે બીબાંમાં ઢાળી દેવામાં આવે છે તેના વિષેની નોંધ, સારા-ખરાબ માણસોની કેરીકેચર (કાર્ટુન / ઠઠ્ઠાચિત્ર) છાપ સમજણ અને રાજકીય ટીપ્પણીઓ પણ કવિતામાં છે. હજુ કદાચ ફરી ફરીને વાંચતા અન્ય બાબતો પણ નજરમાં આવી શકવાની શક્યતા ખરી. સહુએ કવિતા વિષે પોતપોતાની સમજ મુજબના મૌલિક મત રજુ કર્યા.

બીજી કૃતિ: મન્ટોની અખબારી કોલમ "ચાચા સેમ કે નામ ખત" અમેરિકાને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાનો બીજો પત્ર. પઠન - રાજુ પટેલ.


જાણીને સુખદ આશ્ચર્ય થશે કે સઆદત હસન મન્ટો વાર્તા સિવાયનું અન્ય મૌલિક ગદ્ય પણ લખતા. તેમની "ચાચા સેમ કે નામ ખત" શીર્ષક ધરાવતી અખબારી કોલમ આઝાદીની તરત પછીના સમયમાં પાકિસ્તાની અખબારમાં છપાતી. જોવાની વાત એ છે કે નવેનવ પત્રમાં માત્ર અમેરિકા જ નહિ પણ પાકિસ્તાન અને ઇસ્લામની રૂઢિઓ પર પણ તીખા વ્યંગ હતા તેમ છતાં પાકિસ્તાનનું બદનસીબ કે રાજુ પટેલ ત્યાં શિબિર નહોતા લેતા અને એ વ્યંજના કોઈ સમજ્યું જ નહિ અને છાપાઓમાં છપાઈ ગયું. રસ ધરાવતા વ્યક્તિ એ લેખ આ લીંક પર ઓનલાઈન વાંચી શકે છે.

અમેરિકાને એક સાચા માણસ તરીકે કલ્પીને લખાયેલ આ પત્રોમાં તો અભિધા છે જ નહિ, માત્ર વ્યંજનામાં જ આખી વાત ચાલે છે.

રાજુના કવિતાપઠન અને પત્રના બે ઉદાહરણો દ્વારા "વાંચન" વિશેના વિચારો





એવું હોઈ શકે કે પહેલી નજરે જેના વિષે કવિતા લાગે છે (અહીં બંદૂક / બાળઉછેર) એ વિષે એ હોય જ નહિ. અલબત્ત, કૃતિ એ વિષે છે જ નહિ એમ માનીને વાંચવાનું શરુ કરવું. સાહિત્ય એ અહેવાલ કે બયાન નથી. તો એવી કઈ બાબતો છે જે એને જુદું પાડે છે? દાખલા તરીકે, "સમીરા જાડી છે" - એ વાક્ય બોલચાલમાં હોય અને વાર્તામાં હોય બંનેનો અર્થ અલગ નીકળે છે. વાર્તામાં એ જ વાક્યનો અર્થ એના પાત્રના સામાજિક / અર્થિક / માનસિક કે અન્ય કોઈ "--"એક પરિમાણની સ્થૂળતાનું ઈંગિત હોય છે. કોઈપણ કૃતિને એની ફેસ વેલ્યુ પર ન લેવી એ ગોલ્ડન રુલ ધ્યાનમાં રાખીને વાંચવું. E=mC2 એવી કોઈ ફોર્મ્યુલાની જેમ સારી કૃતિનો એક જ અર્થ નથી હોતો. સારી કૃતિના કમસે કમ બે અર્થ હોય છે; એ કમસે કમ બે સ્તર પર વાત કરતી હોય છે. એ હદ સુધી કે રચયિતા પોતે પણ છાતી ઠોકીને ન કહી શકે કે આનો આ એક જ અર્થ છે. અને જો તે એમ કહે તો પણ એને માન્ય રાખવું જરૂરી નથી. કેમ કે એ લખાણનું બીજ લેખકના સબ-કોન્સીયસમાંથી પ્રગટ્યું હોય છે જેના પર આપણો પોતાનો પણ કોઈ કાબૂ નથી હોતો.

દાખલા તરીકે, વાત શરુ થતી હોય છે નવમાં ધોરણમાં આપણને કોઈના પર ક્રશ થયો ત્યાંથી. એ પ્રથમ પ્રેમના ખુમારમાં આપણે વાહિયાત કવિતા લખવા માંડ્યા. જે આપણને ત્યારે અદભૂત લાગતી અને આપણા મિત્રો પણ બિરદાવતા. પછી ધીમે ધીમે કવિતા પ્રત્યે પ્રેમ વધતો ગયો અને કોલેજમાં આવીને છ મહિનામાં ગાલીબનામા વાંચી કાઢ્યું ત્યારે સમજાયું કે અત્યાર સુધી જે લખતા હતા એ તો સાવ સાધારણ હતું. એ પછી જે લખાય તે કદાચ અગાઉથી અલગ જ હોય. અને એમાં અગાઉ લખેલું તેમજ જોયેલું / અનુભવેલું સબ-કોન્સીયસમાંથી એ રીતે આવે કે તમારો પોતાનો આગવો અવાજ / યુનિક વોઈસ જડવા માંડે.

જેમ કે, મુકેશે ગાવાનું શરુ કર્યું ત્યારે માત્ર દેખાદેખીમાં, કે. એલ. સાઈગલની નકલ કરવાથી શરુ કર્યું હતું. પરંતુ પછીથી પોતાની આગવી શૈલી પકડાઈ ગઈ.

અહીં વાર્તાને વાંચવા - મૂલવવાના ત્રણ માનીતા અને માન્યતાપ્રાપ્ત પરિમાણ અભિધા-લક્ષણા-વ્યંજના વિષે વાત કરવી રહી.

અભિધા : જે કહ્યું છે તે.
લક્ષણા : કહ્યા દ્વારા સૂચવાય છે તે.
વ્યંજના : કહ્યા દ્વારા જે આડકતરું / વ્યંગ્ય સધાય તે.

અભિધા એ કોઈપણ કૃતિનો નકાબ છે જ્યારે વ્યંજના એ નકાબ પાછળની આત્મા હોય છે જેને આપણે વાંચતી વખતે બેનકાબ કરવાની હોય છે. અને એથી ઉલટું લખતી વખતે નકાબનશીન કરવાની હોય છે. ખેર, કહેવાનો અર્થ એમ નથી કે આ વાતને પણ કોઈ ફોર્મ્યુલાની જેમ લઈને રચના કરવા માંડવી. પરંતુ જો એક જ સ્તર પર કૃતિ ચાલતી હોય તો તે કાલજયી બનવા નહિ પામે. અભિધા-લક્ષણા-વ્યંજના વિષે વધુ જાણવા માટે બ્લોગ પરની રાજુએ લખેલી આ પોસ્ટ વાંચી શકાય

જોવાની વાત એ છે કે મન્ટો અને ઈસ્મત ચુગતાઈ તો એવું ગજબ કરતબ કરતા કે તેમના બંને લેયર્સ પારદર્શી હતા. એટલે કે, અભિધાના સ્તરે તો વાર્તા ચોટદાર રહેતી જ અને વ્યંજનાના સ્તરે જે વાત હોય એ સોંસરવી ઉતરી જાય અને ખુબ લાંબા સમય સુધી એ આપણો પીછો ન છોડે. જેમ કે પેલી દુરદર્શનના સમયની પાનપસંદની "શાદી ઔર તુમસે? કભી નહિ." વાળી જાહેરખબરની જો તમે સ્ક્રીપ્ટ વાંચો તો બંને લાઈનમાં કોઈ ફરક ન લાગે પણ અભિનય દ્વારા એક જ લાઈનથી બે અલગ વાત કહેવાઈ છે. (જેમણે એ જાહેરાત ન જોઈ હોય તેઓ યુ-ટ્યુબ પર અહી જોઈ શકશે)

ટાસ્ક પરની ટીપ્પણીઓ અને વ્યંજના...

અહી ટાસ્કના ઉત્તરો પરની રાજુની ટિપ્પણીઓ અઘરી લાગે છે એવી ફરિયાદનો સૂર ઉઠો રહ્યો હતો. અમુકને એ ટીપ્પણીઓ સમજાતી જ નથી તો અમુકને એ સમજાવા છતાં એના પરથી વાર્તામાં શો ફેરફાર કરવો તે નથી સમજાતું. દાખલા તરીકે, સંજય ગુંદલાવકરે ટાસ્કના ઉત્તરમાં લખેલી વાર્તા (જે અહીં વાંચી શકાશે) પરની રાજુની કમેન્ટ આ મુજબ હતી -

"વારતામાં કશુક બને એ બરાબર પણ જે બનતું દેખાય એની પછી તે સમાંતર બનતું અનુભાવાવું જોઈએ. તેમ ન બને અને માત્ર જે દેખાય છે એટલું જ બને તો એક અહેવાલથી આગળ વારતા ન વધે.

પાત્રોનું મનોજગત ? સંજોગવશ ઘટેલી દુર્ઘટનાથી સર્જાતી દોષભાવના કે હતાશા..?

ઘટના ઘટી જતી હોય છે, વારતા રચવી પડે .. અને પ્રસ્તુત રચનારીતીમાં વારતા ને ઘટનાના નકાબમાં પીરસવી પડે જેથી વાચકને લાગે કે ઘટના ઘટી રહી છે પણ તેના સુધી પહોંચે વારતા."

આ ટીપ્પણી સંજયને ન સમજાતા તેમણે આનો વિસ્તૃત અર્થ માંગ્યો હતો જે આ મુજબ હતો -

"વારતામાં કશુક બને એ બરાબર પણ જે બનતું દેખાય એની પછીતે સમાંતર બનતું અનુભવાવું જોઈએ. તેમ ન બને અને માત્ર જે દેખાય છે એટલું જ બને તો એક અહેવાલથી આગળ વારતા ન વધે.

^^^^વારતામાં બનતી ઘટના અને વાસ્તવમાં બનતી ઘટનામાં એક ફર્ક એ હોય છે કે ઘટનાનું કોઈ પ્રયોજન નથી હોતું. વૈજ્ઞાનિક કે સામાજિક કે વ્યક્તિગત કારણ હોય છે- પ્રયોજન નહીં. વરસાદ પડવો એ એક ઘટના છે. પ્રાકૃતિક, ઈશ્વર [કે કોઈ ગેબી શક્તિનો એજેન્ડા નથી કે વરસાદ પડે ] એક લગ્ન રચાય છે તો એ એક સામાજિક ઘટના છે, વ્યક્તિગત ઘટના છે. કોઈ નો એજેન્ડા હોય તો વ્યવહારિક એજેન્ડા છે. સૃજનાત્મક ઉદ્દેશથી ઘટના નથી ઘટતી.

વારતા સૃજ્નાતમ્ક ઉદ્દેશથી રચાય અને માટે તે કોઈ ઘટના જેટલી સપાટી પરની, કેવળ એક અર્થ ધરાવતી અને કોઈ વ્યવહારિક એજેન્ડા લઇ ને ચાલતી ન હોય. વારતામાં વરસાદ પડે તો એના ચોક્કસ કારણ હોય, ઉદ્દેશ હોય અને પરિણામ હોય . વરસાદના પડવાથી વારતાને ફરક પડે માટે જ વરસાદ પડે.

ઘટના અને વારતામાં બનતી ઘટના વચ્ચે આ ફરક છે. આ ફરક ન હોય તો વારતામાંની ઘટના માત્ર એક અહેવાલ બનીને રહી જાય.

####

પાત્રોનું મનોજગત ? સંજોગવશ ઘટેલી દુર્ઘટનાથી સર્જાતી દોષભાવના કે હતાશા..?

^^^ વારતામાંનાં પાત્ર કશુક અનુભવતા હોય એવી વારતાની માંગ હોય તો પાત્રની મનોસ્થિતિ બતાવવી પડે. જરૂરી નથી કે આ મનોસ્થિતિ સીધે સીધા વર્ણનમાં આવે. ક્યારેક લેખક ઘટના અને ઘટના પરની પાત્રની પ્રતિક્રિયા પરથી પાત્રની મનોસ્થિતિ બતાવી દે.અથવા અન્ય કોઈ રીતે પણ બતાવે એ જરૂરી છે. કેમ કે પાત્રની મનોસ્થિતિ ઘટનાને પરિમાણ આપે છે. ઘટનાને વારતામાં ફેરવનારું એ મુખ્ય તત્વ છે.

####

ઘટના ઘટી જતી હોય છે, વારતા રચવી પડે ..

^^^^ એક વારતા અને એક ઘટનામાં શું ફરક ..?

ખુબ. આપણા કામના ફરક તપાસીએ. ઘટના ઘટે છે – જેના એક કે અનેક પરિબળ હોય છે અને દરેક ઘટના ચોક્કસ પરિણામ નીપજાવે એ જરૂરી નથી. પરિણામ નીપજવાના કે ન નીપજવાના એક કે વધુ કારણ હોઈ શકે છે. અને એ સારનો સંયોગિક, સામાજિક કે વ્યક્તિગત હોઈ શકે. દાખલા તરીકે એક સ્ત્રી મુંબઈ થી પુના જવા નીકળી, બસ બગડી, કોઈની કારમાં લીફ્ટ લીધી, કારમાં એને જુનો મિત્ર મળી શકે અથવા નવો દુશ્મન મળી શકે.

જુનો મિત્ર દુશ્મન જેવું વર્તન કરી શકે અને નવો દુશ્મન મૈત્રીપૂર્ણ હોઈ શકે.

આમ સફરમાં નીકળેલી સ્ત્રી સાથે મનભાવન અથવા ખેદજનક કંઈ પણ ઘટી શકે. ડીપેન્ડસ. કોણ કેવું મળે છે અને તે સમયે શું થાય છે. નિયતિનો ખેલ. સામાજિક સંદર્ભ જે હોય એ અથવા એ સ્ત્રી જ કૈંક અણધાર્યું કરી બેસે. કંઈ પણ બની શકે. અથવા કંઈ જ જાણવા – કહેવા – સાંભળવા જેવું ન પણ બને – બધું સરળ પાર પડે.

પણ આ વિગત જો વારતાની હોય તો..?

બસ બગડશે કે નહીં, સ્ત્રી લીફ્ટ લેશે કે નહિ, લીફ્ટ આપનાર કોણ હશે..? કેવો હશે અને લીફ્ટ લીધા બાધ વાસ્તવમાં શું બનશે – આ બધ્માથી કોઈ વસ્તુ અનિશ્ચિત નથી. આપોઆપ નથી બનવાની અને જે કઈ બનશે એનું એક ચોક્કસ લક્ષ્ય હશે. એ લક્ષ્ય છે વારતાનું લક્ષ્ય.

####

અને પ્રસ્તુત રચનારીતીમાં વારતાને ઘટનાના નકાબમાં પીરસવી પડે જેથી વાચકને લાગે કે ઘટના ઘટી રહી છે પણ તેના સુધી પહોંચે વારતા.

^^^^ અહીં જે ઉત્તરની વાત થાય છે એમાં મુખ્ય સ્તર પર એક ઘટના છે. પણ એ ઘટના ને સમાંતર મેં ઉપર જણાવ્યા એ પાસા ગાયબ છે. એ હોવા જોઈએ અને એ એવી રીતે હોવા જોઈએ કે જાણે ઘટનાનો હિસ્સો હોય .. તો વાચક સભાન થયા વિના વારતા માણી શકે."


હવે, થયું હતું એવું કે આ દીર્ઘ કમેન્ટ પણ સંજયને પુરેપુરી નહોતી સમજાઈ પણ તેમણે એ ત્યારે ને ત્યારે કહેવાની બદલે શિબિરમાં જણાવ્યું અને તેમની વાત સાથે અન્ય સભ્યો પણ સહમત હતા કે તેમના પોતાના ટાસ્ક પરની રાજુની કમેન્ટ પણ ઘણીવાર નથી સમજાતી. આ દીર્ઘ કમેન્ટનું નીરજે મોટા અવાજે પઠન કર્યું અને આજની શિબિરમાં અગાઉ ચર્ચાયેલ મુદ્દાઓને આધારે સહુને આ ટીપ્પણી બરાબર સમજાઈ ગઈ. આ બાબતે સુત્રધારનો એવો ખુલાસો હતો કે, તેમની ટિપ્પણીઓ કંઈ એવી પણ અઘરી નથી હોતી કે સમજાય જ નહિ. ગુજરાતીમાં હોય તો ન સમજાય એવું થવું જ ન જોઈએ. આ વાતને આપણો ઈગો પ્રોબ્લેમ બનાવી લઈને બે-ત્રણ-ચાર વાર એ ટીપ્પણી વાંચવી અને છતાંય ન સમજાય તો એ સમજાવવા સુત્રધાર બેઠા જ છે. તેમની એ ફરજ છે કે જ્યાં સુધી ન સમજાય સમજાવતા રહેવું. પરંતુ એવી અપેક્ષા ન રાખવી કે ટીપ્પણી સહેલી લખવામાં આવશે.

ટીપ્પણી બાબતની દીર્ઘ ચર્ચાને અંતે વાંચન વિષેના હજુ એક-બે મુદ્દાઓ ચર્ચાયા




"સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે." - કલાપીની આ સુવિખ્યાત પંક્તિ વાંચન-લેખન માટે પણ લાગુ પડે છે. સાહિત્ય સર્જતા પહેલા સાહિત્યને, સાહિત્યિક મુલ્યોને સમજવા પડે.

ઝવેરચંદ મેઘાણીના આ લખાણ મુજબ જરૂરી નથી કે બહેતર વાર્તા વાંચીને જ તમારું સાહિત્યસર્જન બહેતર કરી શકો. અન્ય ક્ષેત્રનું વાંચીને પણ તે બહેતર થઇ શકે. અને આ જ મુદ્દાને હજુ એક ડગલું આગળ લઇ જઈને જોઈએ તો વાસ્તવિક ઘટના, માણસો કે ફિલ્મો વાંચો. બે માણસ ઝઘડે છે એ વાંચો.

દાખલા તરીકે એક માણસને એક જ ગાળ આવડે છે - "રંડી". ચોર, હત્યારા વગેરે બધાની અવેજીમાં તે આ એક જ શબ્દ વાપરે છે. આની પાછળ અનેક કારણો હોઈ શકે. જેમ કે તેણીને અનેક પુરુષ મિત્રો છે એ વાતની ઈર્ષા આ વ્યક્તિને હોઈ શકે. કે પછી તેની પોતાની જ અતૃપ્ત વાસના. શક્યતાઓ અનેક છે...

આ સાથે આજના મુખ્ય વિષયની ચર્ચા પૂરી થઇ સાથે બીજી વખતની ચા નો સમય થઇ ચુક્યો હતો. ચા ને કંપની આપવા સુકી ભેળ, પૌઆ અને સમોસા પણ હાજર હતા.



લાઈવ ટાસ્ક







આ નાનકડા બ્રેક પછી (જે ખાસ્સો એવો લાંબો ખેચાયો) આજનું લાઈવ ટાસ્ક આપવામાં આવ્યું. જેમાં દરેકે પાંચ અસંબદ્ધ વાક્યો એક કાગળ પર લખવાના હતા અને લખાઈ જાય એટલે મોટેથી વાંચવાના. બધાના વાંચી જાય પછી તેમની વચ્ચે એકેક એમ કુલ ચાર એવા વાક્યો ઉમેરવાના કે તેમને જોડીને એક સંપૂર્ણ ચિત્ર ઉપસે.

દાખલા તરીકે મારા મૂળ પાંચ વાક્યો આ મુજબ હતા -

વાક્ય ૧ - પગમાં ખાલી ચડે તો પગ ભારે થાય?
વાક્ય ૨ - ગોલ્ડ ફ્લેક સિગારેટ એટલે સોનામાં સુગંધ...
વાક્ય ૩ - આઇન્સ્ટાઇન ક્યારે મળ્યા હશે?
વાક્ય ૪ - મારી પેન લખવામાં બહુ સ્મુધ છે પણ વજનદાર એટલી કે લાંબુ ન લખાય
વાક્ય ૫ - કાલથી ફરી ઓફીસ

જેમાં મેં નીચે મુજબના ચાર વાક્યો ઉમેરીને ચિત્ર પૂરું કરવાની કોશિશ કરી --

"પગમાં ખાલી ચડે તો પગ ભારે થાય?", રવિવારને દિવસે ચાર કલાકથી ઓફિસનું કામ લઈને બેઠેલા રવિનું ધ્યાન આવા ફાલતું વિચારોમાં ભટકી રહ્યું હતું. ગોલ્ડ ફ્લેક સિગારેટ એટલે સોનામાં સુગંધ... મગજ ફોકસ કરવા તેણે એક ઊંડો કશ ખેંચ્યો. 'આઇન્સ્ટાઇન ક્યારે મળ્યા હશે?' એ વિષય પર બોસ્સની દીકરીનું હોમવર્ક કરી આપવાના એને શા અભરખા ઉપડ્યા હતા કોણ જાણે? "મારી પેન લખવામાં બહુ સ્મુધ છે પણ વજનદાર એટલી કે લાંબુ ન લખાય", એવું બહાનું તો બોસ માન્ય નહિ જ રાખે પણ શું કરવું, કાલથી ફરી ઓફીસ.

(બીજું ઉદાહરણ અહેવાલને અંતે આપેલી પરાગ ગ્યાનીની નોંધમાં જોઈ શકાશે)

બધાને આ લાઈવ ટાસ્ક કરવામાં મજા પડી પણ સુત્રધારે આ ટાસ્ક શા માટે આપ્યું હતું? અભિધાના સ્તરે જોઈએ તો આ ટાસ્ક ખાલી રમત જ છે જે ઘણી વાર શાળા કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પરંતુ વ્યંજનાના સ્તરે આ ટાસ્કનો એક અર્થ વાર્તામાં અસંબદ્ધ ઘટના ઉભી કરીને એમાંથી રસ નિર્માણ કરી શકાય. બીજો અર્થ જેમ આ ટાસ્ક લખવું એ લેખક માટે ચેલેન્જ હતી તેમ તમારા પાત્રો માટે કનફ્લીક્ટ ઉભી કરવી અને કરતા રહેવી. વાર્તામાં પાત્ર સામે અઘરી પરિસ્થિતિ ઉભી થાય તો તેનાથી ભાગો નહિ. થવા દો. જે થશે એ કાગળ પર જ ને.

દાખલા તરીકે, રાજુ એક નાટક લખ્યું હતું જેમાં એક સીનમાં હિરોઈન હીરોના ઘરે આવી હોય છે અને ત્યારે જ હિરોઈનનો બાપ ત્યાં આવી ચડે છે. રાજુએ લખેલા દ્રશ્ય મુજબ એ હિરોઈન રસોડામાં ચાલી જાય છે અને એટલી વારમાં હીરો તેના બાપને ત્યાંથી ભગાડી દે છે. પરંતુ દિગ્દર્શકે કહ્યું કે પેલી હિરોઈનને રસોડામાંથી બહાર લાવ ને. ભલે એનો બાપ ત્યાં રહ્યો. એમાંથી જ તો કોમેડી કે ડ્રામા જનમશે.

પ્રશ્નોત્તરી

નીરજ: કોનફ્લીક્ટ નાખવી જરૂરી?

માત્ર કોનફ્લીક્ટ જ નહિ સબ-કનફ્લીક્ટ પણ નાખો. કોનફ્લીક્ટ વગર તો વારતા શક્ય જ નથી. પણ તેને રસપ્રદ બનાવવા માટે દરેક પળે પાત્રને ચેલેન્જ આપતા રહો.

પરાગ: ડીટેક્ટીવ કથામાં વ્યંજના ક્યાં?

બહુ જ સરસ પ્રશ્ન. સામાન્ય રીતે ડીતેક્ટીવ કથાઓમાં ઘટનાનું ખુબ મહત્વ હોય છે. એટલે જ તેને પલ્પ ફિક્શનમાં ખપાવી દેવામાં આવે છે. પરંતુ એમાં ભાવના ન હોય એવું જરૂરી નથી. હા, સામાન્ય રીતે લેખકો એ લેવાની તસ્દી નથી લેતા કારણકે એના વગર પણ વાર્તા વેંચાય છે. જેમ કે, અશ્વિની ભટ્ટની વાર્તાઓમાં વ્યંજના હોય છે.

તુમુલ: માત્ર વ્યંજના વાળી વાર્તા હોય? અભિધા વગરની ...

બિલકુલ. દરેક વાર્તા પોતાનું વ્યાકરણ લઈને આવતી હોય છે. જો તે વાર્તાને અભિધાની જરૂર હશે તો એ સાથે લઇ આવશે અને નહિ હોય તો માત્ર વ્યંજનાના સ્તરે પણ અવતરશે. મધુ રાયની 'સરલ અને શમ્પા' આવી વાર્તાનું ઉદાહરણ છે.

****************

પરાગ ગ્યાનીની નોંધ: 

“जो कहा नहीं, वो सुना करो !”

ફરી એક રવિવાર અને ફરી એક શિબિર. સહેજ પણ સમયનો વ્યય કર્યા વગર રાજુએ સમયસર આવેલાં સભ્યો સામે, લોકમિત્ર લિખિત સાડાપાંચ પાના લાંઆઆઆઆબી કવિતા વાંચવા/સાંભળવા લાવી નીરજ કંસારાના હાથમાં મુકી દીધી ! “ અને ફક્ત ત્રણ જ મિનિટમાં ચાય આવે છે” એવી ધરપત આપી રાજુ અલોપ થયા ! અને નીરજે એના ઊંચા સૂર વડે સૌની બપોરની સુસ્તી પર પ્રહાર શરૂ કરી દીધા. ???

કેટલીક સુંદર કૃતિઓને સમજવા પહેલા એની નજીક જવું પડે છે. એ ન્યાયે મેં પણ એ કવિતાને ફરી પાસે લઈ વાંચી અને કૃતિએ એનો જાદુ વેરી દીધો એવી સહેજ હૈયા-ધારણા પણ બંધાઈ. પણ હાય રે કિસ્મત! રાજુએ ચાય સમેત આવતાં વેંત “ આ કવિતામાં જે લખાયું છે એ વિષેની એ કવિતા ન પણ હોય.” એ તરફ સૌને નજર દોડાવવા કહ્યું. અને બગાસા છતાં કરેલી તમામ મહેનત પર ગરમ ચાય ફરી વળી.આ એક જ વાક્ય વડે રાજુ સૌને અજાણતાં જ અભિધાથી વ્યંજનાના સ્ટેશને દોરી ગયા. અને શિબિરે જાણે એનું ગિયર બદલ્યું.

આ શિબિર રાજુના પડોશી મીસીસ યશપાલ શર્મા (‘લગાન’ ફેઈમ)ના ઘરે લેવાઈ હતી, એટલે રાજુ અને કિશોરભાઈ કયારેક ચાયની પ્યાલી તો કયારેક કોઈ રેફરન્સ પુસ્તક સાથે એકથી બીજા ફલેટમાં પ્રગટ થઈ, કયારેક ખુદ અભિધા, તો કયારેક ખુદ વ્યંજના બની, અમ શિબિરાર્થીઓ વચ્ચે સતત ઝુલતા રહ્યા. વાર્તાકળા વિષેની આ બે બંધુઓની ધગશથી દિલ બાગબાગ થઈ રહ્યું હતું.

અચાનક રાજુ ‘ સઆદત હસન મન્ટો દસ્તાવેજ, ભાગ-5’ લઈ પ્રગટ થયા ! મન્ટોની કોઈ રસાળ વાર્તા પઠનની બધી આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે એમણે મન્ટોએ ‘અંકલ- સેમ’ ને ઉદ્દેશીને લખેલા પત્રનું પઠન શરૂ કર્યું. ખેર. મન્ટોના આ પાંચ ભાગમાં વિસ્તરેલા પુસ્તકોમાંથી અકળ કારણોસર મારા એકમાત્ર ન વાંચાયેલા પત્રોના પઠનથી જ રાજુએ નવી વાતની શરૂઆત કરી ! પાકિસ્તાનમાં રહ્યે રહ્યે અમેરિકાના દેશ અને તેની સરકારને એક વ્યક્તિ તરીકે કલ્પી/લખી મન્ટોએ એક એવી વ્યંજનાના સૂરમાં વાત મુકી કે પાકિસ્તાન સરકાર એ સમજી જ ન શકી અન્યથા એ કૃતિ પ્રગટ જ ન થઈ શકી હોતે !

કોઈપણ અચ્છી કૃતિ એક સ્તર પર લખાઈ હોતી નથી. એના એકથી વધુ સ્તરો હોય છે અને એજ એને કાળજયી બનાવે છે ! જ્યારે કોઈ કૃતિ હાથમાં આવે ત્યારે એને જે શબ્દો થકી લખાયું છે, એ નકરાં શબ્દો વડે જ વાંચવી એ અધૂરું વાંચન હશે.જેમ પેલા શેરમાં કહેવાયું છે એમ-

‘જો કહા નહીં વો સૂના કરો,
યે ગઝલ કી ઐસી કિતાબ હૈ,
ઈસે ચૂપકે ચૂપકે પઢા કરો,
કિસી શામ ઘર ભી રહા કરો !’ (-બશીર બદ્ર)

શિબિરનો સૌથી સર્જનાત્મક હિસ્સો શિબિર વખતે જ આપવામાં આવતું લાઈવ ટાસ્ક છે. એની ઉત્કંઠા સૌને રહેતી હશે. આ વેળા કાગળ પર પાંચ સંબંધ ન ધરાવતા વાકયો લખવા કહેવાયું અને એ પછી દરેક વાક્ય વચ્ચે એને જોડતાં બીજાં એક-એક એમ પાંચ વાક્ય ઉમેરી એક સળંગ લખાણ બનાવવાનું ફરમાન થયું. સૌએ ટાસ્કને ન્યાય આપ્યો પણ રાજુલ ભાનુશાળીનાં લખાણનું રમતિયાળપણું એને કેવો આલા- અંજામ દીધો એ ઘરે જતાં જતાં યાદ રહી ગયું ! આ રહ્યાં એમની કલમે લખાયેલાં એ પ્રથમ પાંચ અને પછી બીજા પાંચ જોડતાં વાક્યો; માણો.

1) આજે સવારના હું ઘણી મોડી ઉઠી!
3) આ શિબિર ક્યારેક ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે..
5) હવે મારે ઓલાનું એપ ડાઉનલોડ કરી લેવું જોઈએ, જેથી વારંવાર દીકરાને હેરાન ન કરવો પડે.
7) સાલ્લી સમીરા કાયમ આટલી જ સુંદર કેમ લાગતી હોય છે?
9) એક ઢાંસુ વિષયની શોધ છે..
_________________________

2) પણ શિબિર મીસ નથી જ કરવી.
4) 'બેટા, ગોરેગામ જવા ઓલા બુક કર..'
6) 'કયો ડ્રેસ પહેરું જેથી એને ટક્કર આપી શકાય!'
8) છડ્ડો યાર.. એના કરતા એક જક્કાસ વાર્તા લખવી વધુ સહેલી છે.

(અને આમ બની એક સળંગ વાત !)...

આજે સવારના હું ઘણી મોડી ઉઠી! પણ શિબિર મીસ નથી જ કરવી. આ શિબિર ક્યારેક ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે.. 'બેટા, ગોરેગામ જવા ઓલા બુક કર તો..' હવે મારે ઓલાનું એપ ડાઉનલોડ કરી લેવું જોઈએ, જેથી વારંવાર દીકરાને હેરાન ન કરવો પડે. 'કયો ડ્રેસ પહેરું જેથી એને ટક્કર આપી શકાય!' ‘સાલ્લી સમીરા કાયમ આટલી જ સુંદર કેમ લાગતી હોય છે?’ છડ્ડો યાર.. એના કરતા એક જક્કાસ વાર્તા લખવી વધુ સહેલી છે. એક ઢાંસુ વિષયની શોધ છે..

#####

લિખાવટનો કેવો જાદૂ રાજુલની કલમે આત્મસાત કર્યો છે, એ વાતને આ દસ જ વાક્યો સાબિત કરે છે!

આવા લેખનકળાના સંઘર્ષના સેવનથી જ વાર્તા મળે તો મળે.. આમ-આમ કરશું તો વાર્તા સહેલાઈથી બેસી જશે; એમ કરવાથી તો સાહેબ, વાર્તા જ બેસી પડશે ! વાર્તામાં ગૂંચ આવવા દ્યો, એ ગૂંચને ઉકેલવાની કળા ખીલવો,તો જ વાર્તારાણી રીઝશે !

5 comments :

  1. તુમુલ મજા આવી ભાઈ... કવિતાથી વાર્તા શિબિરની શરૂઆત વાહ! વચ્ચેની લિંક ઉપયોગી નીવડી છે. જલસેદાર ચર્ચા...

    ReplyDelete
  2. અહેવાલ પણ આવો રસાળ હોઈ શકે તેનો અંદાજ ન હતો. શિબિરમાં આવવાની લાલચ થઈ ગઈ.

    ReplyDelete
  3. ખૂબ સરસ અહેવાલ, તુમુલ

    ReplyDelete
  4. તુમુલ, જલસો અને ઈર્ષ્યા બંને.... પણ આ આહેવાલ વાંચી હું ઈર્ષ્યા વધુ અનુભવું છું.આટલું અદભુત લાઈવ ટાસ્ક...વાહ! (..જેમાં કદાચ હું ફરી એક વાર ડફોળ સાબિત થાતે..બચી ગઈ.)આ વખતના આહેવાલામાં વચ્ચે વચ્ચે જે લીંક આપી છે, એ તો સુરતી ઘારી પરના કેસર પીસ્તા.. મજા આવી ગઈ.

    ReplyDelete
  5. તુમુલ અને પરાગભાઈ, બંનેના અહેવાલ સરસ, સર્વગ્રાહી અને મઝાના છે.
    શિબિરમાં એક વ્યક્તિની હાજરી અને એના પ્રદાન વિષે બેમાંથી કોઈએ નોંધ લીધી નથી. હું વાત કરું છું તસવીરકાર રાજીવ સહાયની. રાજીવે છબીઓ પાડી અને ચલચિત્રો મુદ્રાંકિત કીધા એટલે આ શિબિરનું દસ્તાવેજીકરણ થઇ શક્યું છે. આજે આપણે મહિના પછી યાદો વાગોળી શકીએ છીએ. (બાય ધ વે, રાજીવ સહાય વ્યાવસાયિક છબીકાર છે. એણે કેટલીક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.)
    એની ઉપસ્થિતિ અને કાર્યવાહી કેટલાક મિત્રોને ખૂંચતી જણાતી હતી. શિબિરમાં રાજુની હાજરજવાબી અને પ્રેઝેન્સ ઓફ માઈન્ડનો એક સરસ કિસ્સો મને હમણાં યાદ આવે છે. બ્રેકમાં સમીરા અને અન્ય એક મિત્ર (જોડે કોણ હતું? કુસુમ?) રાજુના ઘરના બેઠકખંડમાં ભેળ બનાવતા હતા ત્યાં આવીને રાજીવે છબીઓ પાડી. સમીરાએ રાજુને ફરિયાદ કરી. “આમનું કંઈ કરોને? પાછળ પાછળ ફરે છે!”
    હું કે અન્ય કોઈક હોત તો કહ્યું હોત, “ડોન્ટ વરી, હું એની સાથે વાત કરું છું.”
    પણ આ તો રાજુ હતો. એણે તરત કહ્યું, “સમીરા, આવી વાતોથી ઝડપથી ટેવાઈ જાઓ. હવે તમે સેલેબ્રેટી બની ગયા છો!”
    સમીરા શું બોલે?

    ReplyDelete